(લખ્યા તારીખ: નવેમ્બર ૦૩, ૨૦૧૦)
(સ્મરણ: શંકરાચાર્ય – अहम् भोजनम् नैव भोज्यम् न भोक्ताः )
આ રસોડું – કતલખાનું!
ન જાણે ક્યારે એ બંધ થવાનું?
ચણામાંથી દળાવાનું,
વેસણમાંથી ગુંદાવાનું,
કણકમાંથી તળાવાનું,
સેવમાંથી શાક થવાનું!
– છોડ થવાનું છોડી, રણછોડના ભોગ થવાનું!
આ રસોડું – કતલખાનું!
ન જાણે ક્યારે એ બંધ થવાનું?
શિરામણ, જમણ, વાળુ રાંધવાનું!
સવારના પાંચથી રાતના નવ સુધી
વગર પંખે તપવાનું!
“આજે દાળમાં મીઠું નથી”થી માંડી
“મારી બા તો બહુ સરસ લાડુ બનાવતી!” એવું એવું
હસતા મોં એ સાંભળવાનું!
અગિયારસને, ડાયાબિટિસને અને ગમા-અણગમાને
યાદ રાખવાનું!
– છોડી થવાનું છોડી, અન્નપૂર્ણા બની રહેવાનું!
આ રસોડું – કતલખાનું!
ન જાણે ક્યારે એ બંધ થવાનું?
કઠોળ ન ઉગાડે દેશ અને
બિલ મારે ભરવાનું!
રોજ અને ભવિષ્ય માટે
કેવા-કેવા સાથે માથું ફોડવાનું?
દિવસમાં ચાર કલાક તો
ટ્રાફ઼િકમાં આથડવાનું!
દેવનું, ગુરુનું, મા-બાપનું,
બાળકોનું અને વૃદ્ધાવસ્થાનું કાઢવાનું!
વરસે એક સાડી પ્રેમથી એ માંગે ત્યારે
“છોકરાં ભૂખે મરશે ત્યારે?” કહી
આપણા જ મનને મારવાનું!
– સઘળું છોડી, સો વરસ ચલાવવાનું!
આ રસોડું – કતલખાનું!